.સરસ્વતી સ્તવના...
જ્ઞાનની વિભૂતિને ભાષાનો મુગુટ પહેરાવ્યો,
વાણીના કળશથી ભાવનો અભિષેક કર્યો,
કલ્પનાનું તિલક ને શબ્દોના કાજળથી,
કાવ્ય રુપે મા વીણાવાદિનીનો શૃંગાર કર્યો.
શ્વેત કાગળને છંદોના સુમનથી મહેકાવ્યો,
સિતારના ટેરવે શાહીનો ખડિયો છે ઢોળ્યો,
કમળની પીંછીથી વિચારોનું સરોવર ચીતરી,
ગઝલ રુપે મા હંસવાહિનીનો ચિતાર કર્યો.
હાઈકુની કોતરણીનો બાજોટ મઢાવ્યો,
વિશેષણોના અલંકારોનો થાળ છે ધર્યો,
મુક્તકનો સ્વસ્તિક ને સોનેટનો ૐ લખી,
શ્લોક રુપે મા સરસ્વતીનો સત્કાર કર્યો.
પ્રથમ યાકુંદે ને દૂજે મા લક્ષ્મીને સૌ દ્યાવો,
આશિષમાં સમ્યક્ જ્ઞાનનો દેજો ખજાનો,
સાહિત્યનું સદાય પીને પંચામૃત પ્રસાદમાં,
ગીત રુપે મા શારદાનો જયકાર કર્યો.— % &
-